Tuesday 19 April 2016

જગતને આજે કેઇન્સ અને શુમ્પીટરની થિયરી એમ બન્નેની જરૃર છે

જગતનું અર્થકારણ સ્લો-ડાઉનમાં છે. ચીનના સ્લો-ડાઉને (સ્લો-ડાઉન અને મંદીમા ફરક છે) જગત પર પ્રતિકૂળ અસર કરી છે. વીસ વર્ષ સુધી ચીન જગતના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે એન્જીન હતું. તે એન્જીન બંધ પડી ગયું નથી પણ તેની ગતિ ધીમી પડી ગઈ છે. અર્થકારણ એક વિચિત્ર વિરોધાભાસ છે. દેશમાં ભાવ વધારો જો અમુક હદથી (૨ થી ૩ ટકા સુધી ચાલે) વધી જાય અને દસ-બાર ટકા પર પહોંચી જાય તો તે અર્થકારણને તોડી નાંખે છે. આ પ્રકારનો ભાવ વધારો વધુ લાંબો સમય ચાલે તો સરકાર પણ તૂટી પડે છે. અત્યારે ભારતમાં છૂટક ભાવવધારાનો દર ૫ થી ૬ ટકા છે પરંતુ જો તેમ ૧૦ થી ૧૨ ટકા લાંબો સમય પહોંચી જાય તો કેન્દ્રીય સરકાર તૂટી પડે અને રાજ્યોમાં પણ સત્તાધારી પક્ષ (પછી તે ગમે તે રાજકીય પક્ષ હોય) પણ તૂટી પડે. આની વિરૃદ્ધ ભાવો ઘટી જાય તો તે મેન્યુફેકચરીંગ અને સેવાઓના ઉત્પાદનને મંદ પાડી દે છે. તે ઉત્પાદનનું સ્લો-ડાઉન કરી નાખે છે અને આ સ્લો-ડાઉન સતત બે કે ત્રણ ત્રિમાસિક (ક્વૉર્ટર્સ) ગાળા દરમિયાન ચાલુ રહે ત્યારે અર્થકારણ મંદીની જાહેરાત થાય છે.

અત્યારે જગતમાં કોમોડીટીઝ અને બળતણના તેલના ભાવો ઘટી ગયા છે. ભાવો ઘટે એટલે સપ્લાય સાઈડ અર્થકારણ નબળું પડી જાય ખેડૂતો દેવાળું કાઢે અને સાથે સાથે ડીમાન્ડ સાઇડ (ખરીદ પ્રધાન) અર્થકારણ પણ નબળું પડી જાય. ખેતપેદાશોના કે તેલના ભાવો ઘટે એટલે તેનું ઉત્પાદન કરનારનો નફો અને ખરીદશક્તિ ઘટી જાય તમે ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરો પણ સામે ખરીદનાર જોઈએ ને ? અર્થકારણમાં ભાવો ઘટે એટલે ખેડૂતો એ બેહાલ થઈ જાય.

નીચા ભાવો : કોમોડીટીઝ અને તેલના અર્થકારણ બેધારી તલવાર છે. બહુ ઊંચા ભાવો અને બહુ નીચા ભાવો ના ચાલે. અત્યારે તે જ કારણે સપ્લાય સાઈડ ઇકોનોમીક્સ અને ડિમાન્ડ સાઇડ ઇકોનોમિક્સ (કેઇન્સને પ્રિય) વચ્ચે દ્વંદ્વ ચાલી રહ્યો છે. કેઇન્સ કહેતા કે મંદીને ટાળવા લોકોની ખરીદ શક્તિ વધારો જેથી માગ વધે અને તેના પ્રતિભાવ (રીસ્પોન્સ) રૃપે વધુ માલનું ઉત્પાદન થાય અને આ નવા ઉત્પાદન દ્વારા રોજગારી વધે. અત્યારે જગતમાં અનાજ, સોયાબીન, તાંબુ, સ્ટીલ અને ખાસ કરીને બળતણના તેલના ભાવો ઘટી ગયા છે કારણ કે તેનો વપરાશ કરનાર ચીન ધીમું પડી ગયું છે.

દા.ત. ગલ્ફના પાંચ દેશો (યુએઇ, કુવેત, બહેરીન, ઓમાન અને સાઉદી અરેબીયા) જેમનો ત્રણ વર્ષ પહેલા ઓઇલના ધંધામાં વાર્ષિક ૬૦૦ બિલિયન ડોલર્સ જેટલો અધધ નફો હતો. તેઓ અત્યારે વાર્ષિક ૪૦૦ બિલિયન ડોલર્સની ખાધનો સામનો કરી રહ્યાં છે. રશિયન અર્થકારણ જે પણ તેલની અને ગેસની નિકાસ કરતું હતું તેની આવક ઘટી ગઈ છે. ચાઈનીસ શેરબજાર જૂન ૨૦૧૫ પછી અત્યારે ૪૫ ટકા ઘટી ગયું છે. અમેરિકા હજી અઢીથી ત્રણ ટકાનાં નક્કર વૃદ્ધિ દરથી આગળ વધી રહ્યું છે. અમેરિકા ૩ થી ૫ ટકાના વિકાસદરથી ખુશ રહે છે કારણ કે તેનો રાષ્ટ્રીય આવકનો બેઝ મોટો દૈન છે ૨૦૦૮માં અમેરિકાની હાઉસીંગ સેક્ટરે તે દેશને અન્ય દેશોને ડૂબાડયા હતા.

હવે લાગે છે કે કદાચ આ કામ પેટ્રોલીયમ સેક્ટર કરી રહ્યું છે. કદાચ અમેરિકાની આરબ જગતને આર્થિક રીતે નુકશાન કરવાની આ વ્યૂહરચના હોઈ શકે કારણ કે અમેરિકા અત્યારે પેટ્રોલિયમ ઉત્પાદનની નવી ટેકનોલોજી (શેલ ટેકનોલોજી)ને કારણે પેટ્રોલીયમની નિકાસ કરી શકે તેમ છે. અમેરિકા માટે હવે પેટ્રોલીયમનું ઉત્પાદન અને ભાવોની રમત રાજકીય હથિયાર બની ગયું હોય તેમ લાગે છે. આરબ દેશો નાદાર બની જાય પછી કેવી રીતે ઇસ્લામિક આતંકવાદીઓને મદદ કરી શકવાના હતા ? ભારતની એક મોટી મુશ્કેલી એ છે કે તેનો ૭.૩ ટકાનો વિકાસદર પૂરતી રોજગારી ઊભી કરતો નથી.

બેંકોની નોન-પરફોર્મીંગ એસેરસ ભયજનક રીતે ઊંચી છે. નિકાસ ઘટી ગઈ છે અને ઘટતી જાય છે, ખાનગી મૂડીરોકાણનો વૃદ્ધિ દર ઘટતો જાય છે અને જાહેર ક્ષેત્રમાં આ વર્ષ ૬૦,૦૦૦ કરોડ રૃપિયાનું ડીસઇન્વેસ્ટમેન્ટ (મૂડી પાછી ખેંચી લેવી કે શેરોને ખાનગી ક્ષેત્રે વેચી દેવા) કરવાનું હતું તેનું અડધા જેટલું પણ થયું નથી. આપણે જાહેર ક્ષેત્રના ધોળા હાથીને ક્યાં સુધી પોષીશું ? જાહેરક્ષેત્ર હોવું જોઇએ પણ તે શિક્ષણ, સ્વાસ્થ્ય, રસ્તા અને સીંચાઈ ક્ષેત્રોમાં જોઈએ - ચીજવસ્તુઓના ઉત્પાદનમાં નહીં .ભારતની ફાસ્ટ મુવીંગ કન્ઝયુમર્સ ગુડઝ (એફએમસીજી)ની કંપનીઓ, શહેરો, નગરો અને ગામડાંઓમાં સારૃં વેચાણ કરી રહી છે.

ગામડાંઓમાં આ ચીજોનું વેચાણ વધ્યું છે. અનાજના (તુવેર, મગ, મઠ, અરહર, અડદ વગેરેના ભાવોને બાદ કરતાં) ભાવો બહુ વધતા નથી. ભારતમાં છેલ્લાં બે વર્ષ અછત (ડ્રાઉટ)ના ગયા છતાં કઠોળ સિવાય અનાજના ભાવો આસમાને કેમ પહોંચ્યા નથી તે આનંદજનક આશ્ચર્ય છે ભારતે દુકાળ નાબૂદ કર્યા છે. તેની અનાજની રેશનીંગ સીસ્ટમમાં ભ્રષ્ટાચાર હોવા છતાં તે ઠીકઠીક સફળતાથી ચાલે છે.

શુમ્પીટર

મૂળ જર્મનીના પણ હાર્વડમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર ફ્રેડરીક શુમ્પીટરે કહ્યું કે અર્થકારણનું સૌથી ડાયનેમીક (ગતિશીલ) પાસુ નવી નવી શોધો છે. આ નવી શોધોમાં નવી પ્રોડક્ટસ ઊભી કરવી, નવા બજારો ઊભા કરવા, નવા વ્યવસ્થા તંત્રો (જેમકે પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ)ની શોધ કરવી, નવા દરિયાઈ માર્ગો ખોલી કાઢવા, નવી વિતરણ વ્યવસ્થા કે ઉત્પાદન વ્યવસ્થા ઊભી કરવી. જેમકે હેન્રી ફોર્ડ ઉત્પાદનમાં એસેમ્બ્લી લાઇન પદ્ધતિની શોધ કરી. આ બધાનું સર્જન કોણ કરે છે ? આ બધાનું સર્જન ઉદ્યોગ સાહસિક (અંગ્રેજીમાં આન્ટરપ્રોનીઅર) કહે છે. તે ગણતરીપૂર્વકનું જોખમ ખેડે છે. તે અર્થકારણનો 'હીરો' છે. દરેક સફળ અર્થકારણમાં ઇનોવેશન્સ (નવી નવી શોધો)ના ચક્રો (સાયકલ) ચાલ્યા જ કરે છે. બ્રિટનમાં ઇ.સ. ૧૭૭૦ પછી ઔદ્યોગિક ક્રાંતિ શરૃ થઈ તેણે ટેક્ષટાઇલ્સ, કોલસો, યંત્ર, ઉદ્યોગોને જન્મ આપ્યો. તેણે ફેકટરી સીસ્ટમ ઊભી કરી. ઉત્પાદનમાં પ્રચંડ વધારો કર્યો. તે પછી જબરજસ્ત મોટો સ્ટીલ ઉદ્યોગ શરૃ થયો. તેના આધારરૃપે ૧૮૯૦ પછી જબરજસ્ત કાર ઉદ્યોગ શરૃ થયો.

ફોર્ડ એસેમ્બ્લી ઉત્પાદનની પદ્ધતિ ખોટી. તે જ દરમિયાન વીજળીની શોધ થતાં યંત્રો વરાળથી નહીં પણ વીજળીથી ચાલવા માંડયા. આમ મૂડીવાદી અર્થકારણમાં ૫૦ થી ૬૦ વર્ષની ઇનોવેશન્સ-સાયકલ ચાલુ જ રહે છે. ઇનોવેશન્સ એ અર્થકારણનો પ્રાણ છે. અત્યારે શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ-અપ યોજના દાખલ કરી છે તેના હાર્દમાં નવી શોધોના આધારે થતાં ઔદ્યોગિક-વ્યાપારી એકમો છે. શુમ્પીટર કહે છે કે ઇનોવેશસન્સને કારણે લાંબા સમય સુધી આર્થિક પ્રગતિ ચાલુ રહે છે પછી થોડા સમય માટે 'ડીપ્રેશન' (મંદી) આવે છે. આ મંદી પણ જરૃરી છે કારણ કે તે 'ક્રીએટીવ ડીસ્ટ્રક્શન' છે. તે જૂની ગંદકીનો નાશ કરે છે.

અર્થકારણમાં તે જૂની પ્રથાઓ અને સંસ્થાઓને તોડી નવી પ્રથા દાખલ કરે છે. આવી સાયકલ્સ ૫૦, ૬૦ કે ૭૦ વર્ષની હોઈ શકે. આને લોંગ સાયકલ્સ થીયરી કહે છે. શુમ્પીટરે અર્થકારણમાં 'ક્રીએટીવ ડીસ્ટ્રકશન' નો વિચાર (કન્સેપ્ટ) આપ્યો. તેઓ સાચા જણાય છે. બ્રિટને એકલે હાથે ઔદ્યોગિક ક્રાંતિકારી અને ૧૯૭૦ બાદ અમેરિકાએ આઇટી ક્ષેત્રે ક્રાંતિ કરીને બ્રિટનને ધક્કો માર્યો. હવે માહિતીને ધક્કો મારીને પશ્ચિમ જગત જેનેટીક નેનોટેકનોલોજી અને રોબોરી કસની

ક્રાંતિ શરૃ કરશે આમ અર્થકારણની સાયકલ્સ ચાલતી હોય છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment