Sunday 10 May 2015

છત્તીસગઢ બંધક પ્રકરણઃ વિશ્વાસના ભોગે વિકાસ ખપે છે?

ઉદ્યોગ સ્થાપવાના બહાને સરકાર ફરીથી સાલ્વા જુડુમ જેવા સંગઠનને પુનર્જિવિત કરવા ધારે છે એવો માઓવાદીઓનો અંદેશો
અપહરણકાંડ માટે અને એ પૂર્વે વારંવાર થયેલા હત્યાકાંડો માટે નક્સલવાદ જવાબદાર છે પરંતુ નક્સલવાદ માટે કોણ જવાબદાર છે એ કહેવામાં આંગળી સત્તા અને સ્થાપિત હિતો તરફ તકાય છે


વડાપ્રધાન મોદી છત્તીસગઠના નક્સલ પ્રભાવિત વિસ્તારની મુલાકાતે જાય એ પૂર્વે જ માઓવાદીઓએ સુકમા જિલ્લાના એક નાનકડા ગામના આશરે ૩૦૦ જેટલાં ગ્રામિણોને બંધક બનાવ્યા છે. મુખ્યમંત્રી ડો. રમણસિંઘનું સત્તાવાર નિવેદન ૨૫૦નો આંકડો આપે છે. રાજ્યનું પોલિસ તંત્ર અને નક્સલવાદીઓ સાથે નીપટવા માટે રચાયેલ સ્પેશ્યલ ફોર્સ પણ વિરોધાભાસી બયાન આપે છે. જ્યારે નજરે જોનારા આ આંકડો ૧૦૦૦થી ય વધુ હોવાનો અંદાજ મૂકે છે. મુખ્ય વાત એ છે કે, રાજ્યમાં અને કેન્દ્રમાં નવી સરકારની રચના પછી નક્સલવાદ મોળો પડી રહ્યો હોવાનો પ્રચાર સદંતર ભ્રામક અને ભરમાવનારો હોવાનું આ ઘટનાથી પૂરવાર થાય છે.
શા માટે છત્તીસગઢ નક્સલવાદથી મુક્ત થઈ શકતું નથી તેનો જવાબ વખતોવખત મળતો રહે છે. ચારેકોર કુદરતે મન મૂકીને વેરેલી અપાર નૈસર્ગિક સંપત્તિ અને તેમ છથાં દારૃણ ગરીબી, કાગળ પર બોલતી અબજો રૃપિયાની સંખ્યાબંધ વિકાસ યોજનાઓ છતાં પાવલું પાણી મેળવવા માટે ૧૫ કિલોમીટર ભટકતો જંગલવાસી, રાજધાની રાયપુરમાં ઠેરઠેર દેખાતા ઝળહળાટ વિકાસના હોર્ડિંગ્સ અને ટાઢિયા તાવની દવાના અભાવે મોતને ભેટતા લોકો. છત્તીસગઢ એ અપાર વિરોધાભાસનું રાજ્ય છે. શનિવારની ઘટના એ આવી અનેક ઘટનાઓનું અનુસરણ છે.
છત્તીસગઢ એ વિરોધાભાસનું રાજ્ય છે તો નક્સલવાદ કે માઓવાદ પોતે પણ એવા જ વિરોધાભાસનું આંદોલન છે. શનિવારે યોજાયેલા અપહરણકાંડ માટે અને એ પૂર્વે વારંવાર થયેલા હત્યાકાંડો માટે નક્સલવાદ જવાબદાર છે પરંતુ નક્સલવાદ માટે કોણ જવાબદાર છે એ કહેવું એટલું આસાન નથી. કારણ કે તેમાં આંગળી સત્તા, વ્યવસ્થા અને સ્થાપિત હિતો તરફ મંડાય છે. વડાપ્રધાને છત્તીસગઢના પ્રવાસે જતાં અગાઉ ખોંખારીને દાવો કર્યો હતો કે બંગાળના નોક્સલાબાડીમાં ય હવે નક્સલવાદ રહ્યો નથી. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે.
જેની પાસે સઘળું છે એ કેમ શોષક છે અને જેની પાસે કશું જ નથી એ કેમ હંમેશા શોષિત જ રહે છે? આદિમકાળથી પૂછાતા આ સવાલના જવાબમાં પાંચ દાયકા પહેલાં બંગાળના નોક્સાલબાડી ગામેથી પ્રગટેલો હુતાશન આ સવાલનો જવાબ મેળવવા માટે પ્રગટયો હતો. કમનસીબે એ જવાબ પોતે જ ઉકેલ બનવાને બદલે આજે વધુને વધુ ગૂંચવાતી સમસ્યા બની ચૂક્યો છે. શોષિતોના બંડ તરીકે ઓળખાતું આંદોલન શોષણખોરીના અંતિમવાદી વિરોધ તરીકે હિંસક બન્યું એ પછી આજે તેમાં એટલી ભેળસેળ થઈ ચૂકી છે કે શોષક અને શોષિત વચ્ચેના ભેદ ઓગળી ચૂક્યા છે. શક્તિના કેન્દ્રિકરણ સામેનો વિરોધ પોતે આજે એ જ કરી રહ્યો છે જેના વિરોધમાં એ હાથોએ બંદૂક ઝાલી હતી.
નક્સલવાદ સ્થાપિત પરિબળો સામેનો વિરોધ છે એવી વ્યાપક સમજ હવે બંદૂકના ધડાકા અને બારૃદની ગંધમાં ક્યાંય વહી ગઈ છે. હવે બહુધા જે છે એ આદર્શવાદી લિબાસ પાછળ સંતાયેલી સત્તાલાલસા. હવે નક્સલવાદીઓ પણ બંદૂકના જોરે ભ્રષ્ટાચાર આચરે છે. હપ્તા ઉઘરાવે છે. પોતાના વિરોધીઓ પર દમન ગુજારે છે અને સત્તા કે સ્થાપિત હિતો સાથે પાછલા બારણે હાથ મિલાવતા રહે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો, નક્સલવાદ હવે ઘણેખરે અંશે લોકશાહી પ્રણાલિમાં રહ્યા વગર, કોઈ જ જવાબદારીથી દૂર રહીને બેફામ હિંસાને જોેરે સત્તાનું સમાંતર કેન્દ્ર બની ચૂક્યો છે.
શનિવારની ઘટના સાવ આકસ્મિક નથી. છત્તીસગઢની મુલાકાતે જઈ રહેલા વડાપ્રધાન કેટલાંક ઉદ્યોગગૃહોનો શિલાન્યાસ કરવાના છે અને નક્સલવાદીઓએ તેનો વિરોધ કર્યો છે. નક્સલવાદીઓના વિરોધનું જે કારણ છે એ સાલ્વા જુડુમ છે. માઓવાદી કે નક્સલવાદીઓને અંદેશો છે કે નવી રચાયેલી રાજ્ય-કેન્દ્ર સરકાર નક્સલવાદનો સામનો કરવા માટે સાલ્વા જુડુમ નામના એવા જ આતંકખોર સંગઠનને ફરીથી છુટ્ટો દોર આપવાની પેરવીમાં છે. આથી માઓવાદીઓએ સંખ્યાબંધ ગ્રામિણોને બંધક બનાવીને પરચો આપ્યો છે. શું છે સાલ્વા જુડુમ?
હિન્દી ફિલ્મ શોલેનો એક સરસ ડાયલોગ હતો, લોહા લોહે કો કાટતા હૈ. નક્સલવાદીઓ હિંસા આચરે છે, કાયદો હાથમાં લે છે, પોતાની રીતે ન્યાય તોળે છે તો તેમને નશ્યત કરવા આપણે ય એવું જ કરીએ. આ વિચારમાંથી પ્રેરાયેલો નક્સલવાદનો જવાબ એટલે સાલ્વા જુડુમ. નક્સલવાદ તો સ્વયંભૂ આક્રોશ હતો, જેને કેટલાંક બુધ્ધિજીવીઓ અને સામ્યવાદના પ્રબુદ્ધોએ પાંગર્યો હતો. સાલ્વા જુડુમને તો એવા કોઈ આદર્શ સાથે દૂર દૂરનો ય નાતો ન હતો.
નક્સલવાદનો ઉકેલ શું એવા મંથનમાંથી એંસીના દાયકામાં એવો વિચાર પ્રગટયો કે નક્સલપ્રભાવી વિસ્તારોમાં ઉદ્યોગો લાવવામાં આવે તો બેરોજગારી ઘટે, પ્રાથમિક સુવિધાઓ વધે અને લોકો બંદૂક ઊઠાવવાને બદલે કામધંધએ વળગે. કમનસીબે આ સરળ લાગતો જવાબ પણ સરકારો અને વ્યવસ્થાતંત્રો અને સ્થાપિત હિતોએ બહુ જ બેહુદો બનાવી દીધો છે. હાલમાં નવી સરકારની નીતિ પણ આ દિશામાં જ પરંતુ પોતાના પૂરોગામીની એટલી જ ખોટી દિશામાં જઈ રહી જણાય છે. સાલ્વા જુડુમ એ આવી ભૂલભરેલી નીતિનું પરિણામ છે, જે નક્સલવાદને નશ્યત કરવાને બદલે આડકતરી રીતે તેને ઉત્તેજન આપી રહ્યું છે.
હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઉદ્યોગો એટલી આસાનીથી ન આવે. ઉદ્યોગ ગૃહોને, તેમના કર્મચારીઓને, ઉદ્યોગ સાથે સંકળાયેલા બીજા ધંધા-રોજગારને રક્ષણની ખાતરી આપવી પડે. એક જમાનામાં ઉદ્યોગોને રક્ષણ આપવા માટે અને નક્સલવાદીઓની હપ્તા વસૂલીથી મુક્ત રાખવા માટે બેરોજગાર વંચિતો, શોષિતોનું જ એક દળ બનાવવામાં આવ્યું.
કાયદાએ આંખ આડા કાન કર્યા અને આ દળને બંદૂક આપવામાં આવી અને પછી સાલ્વા જુડુમ એવું સ્થાનિક ભાષામાં રૃપાળુ નામ આપવામાં આવ્યું, જેનો અર્થ થાય છે શુધ્ધતા તરફની આગેકૂચ.
૨૦૦૬માં સ્થપાયેલી સાલ્વા જુડુમ માટે નક્સલવાદનો લોકો દ્વારા થતો પ્રતિકાર એવો બચાવ કરવામાં આવતો હતો. પરંતુ હકિકત એ હતી કે તેને સ્થાનિક સરકારો કે સ્થાપિત તંત્રનું વ્યાપક સમર્થન હતું અને સાલ્વા જુડુમ સાથે એવા જ પૂર્વ નક્સલવાદીઓ સંકળાયેલા હતા જેઓ સ્થાપિત હિતો ધરાવતા હતા. લોકોના રક્ષણના નામે અને નક્સલવાદીઓને મહ્તા કરવાના નામે સાલ્વા જુડુમે પણ બેફામ અત્યાચાર ગુજાર્યા. પરિણામે હાલત એવી થઈ કે ગરીબ આદિવાસી પહેલાં પોલિસ અને નક્સલવાદીઓથી ડરતો હતો. તેણે હવે ડરવા માટે સાલ્વા જુડુમ નામનો ત્રીજો મોરચો ય ખૂલ્યો.
૨૦૧૧માં સર્વોચ્ચ અદાલતના આદેશથી નિમાયેલા પંચનો અહેવાલ કહે છે કે સાલ્વા જુડુમની આણ ફરતી થયા પછી જંગલ વિસ્તારોના ૬૪૪ કસ્બાઓ સદંતર ભેંકાર થઈ ગયા છે. ત્રણ-ત્રણ પ્રકારની બંદૂકોથી ડરીને ૩ લાખથી વધુ આદિવાસીઓ વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ જમીન પર કબજો મેળવવા માટે નક્સલ અને રાજકારણીઓ પ્રેરિત સાલ્વા જુડુમ વચ્ચે ઉગ્ર સંઘર્ષ ચાલતો રહ્યો છે. આ અહેવાલ પછી સર્વોચ્ચ અદાલતે સાલ્વા જુડુમને પ્રતિબંધિત જાહેર કરી દીધું હતું પરંતુ લોહી ચાખી ગયેલો વાઘ પાછલા બારણે સરકાર અને સ્થાપિત હિતોની મહેરબાનીથી હજુ ય ઘૂરકતો જ રહે છે.
નવી સરકાર રાજ્યમાં ઉદ્યોગો લાવવા ધારે છે. હાલમાં જ કેન્દ્ર સરકારે નક્સલપ્રભાવી વિસ્તારમાં ઉદ્યોગો લાવવા માટે ઘણી છૂટછાટો આપતી નવી નીતિ પણ જાહેર કરી. સ્વાભાવિક છે કે આ હિલચાલથી રાજ્યમાં સાલ્વા જુડુમના સુષુપ્ત થવા લાગેલા પરિબળો પણ જોરમાં આવ્યા. કારણ કે, ઉદ્યોગો આવે તો તેમના રક્ષણ માટે સાલ્વા જુડુમની ય જરૃર પડવાની. સાલ્વા જુડુમના પૂર્વ નેતા મહેન્દ્ર કર્માની હત્યા પછી હાલ તે નેતૃત્વવિહિન છે પરંતુ બંદૂકના જોરે રૃપિયા રળવા માંગતા લોકોની કમી નથી.
માઓવાદીઓને અંદેશો છે કે ફરી એકવાર સરકાર પોતે જ ઉદ્યોગ લાવીને, વિકાસનો રૃપકડો નકશો બતાવી શકાય એ માટે સાલ્વા જુડુમને પુનર્જીવિત કરશે. વડાપ્રધાનની યાત્રા પૂર્વે નક્લવાદીઓએ એક આખા ગામને બંધક બનાવીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર જો ઉદ્યોગ સ્થાપના પૂર્વે પોતાની માંગણી ન માને તો બિહામણો હત્યાકાંડ આચરવાની માઓવાદીની ધમકી પણ હળવાશથી લઈ શકાય તેમ નથી. કારણ કે પૂર્વે આવા હત્યાકાંડો થઈ જ ચૂક્યા છે.
વિકાસ આવશ્યક છે પરંતુ સ્થાનિકોનો વિશ્વાસ વધારે મહત્ત્વન છે. આશા રાખીએ કે વિકાસના મોહમાં આપસી વિશ્વાસની દોર ન તૂટે.

No comments:

Post a Comment