Tuesday 19 April 2016

સમાજવાદ, સામ્યવાદ અને મૂડીવાદથી અલગ અર્થકારણ રચવાની આવશ્યકતા

૧૯૩૧માં ઈજીપ્તમાં જન્મેલા પ્રખર સામ્યવાદી સમીર અમીન એમ માને છે કે વૈશ્વિક મૂડીવાદનું સ્થાન હવે વૈશ્વિક સમાજવાદે લેવું પડશે. સામ્યવાદ અને સમાજવાદ કાર્લ માર્ક્સ અને એન્જલ્સને પર્યાય રૃપે પ્રયોજ્યા હતા. ઈ.સ. ૧૯૧૭માં રશિયામાં ક્રાંતિ થઇ તે પછી તે દેશનું નામ યુનાઇટેડ સ્ટેટસ સોશીઆલીસ્ટ રીપબ્લીક્સ (યુએસએસઆર) રાખવામાં આવ્યું હતું. તેમાં સામ્યવાદ શબ્દનો ઉપયોગ નથી. સમીર અમીનની ઈચ્છા અત્યારે અવાસ્તવિક જણાય છે કારણ કે વ્યવહારમાં સામ્યવાદી અર્થકારણ અને રાજકારણ તેમની હેઠળના નાગરિકો માટે સારા સાબિત થયા ન હતા. ફ્યુડલ સમાજમાંથી સીધેસીધો સામ્યવાદ ઊભો થાય અને પાકટ મૂડીવાદમાંથી ઊભો ના થાય તો તે માનવ હક્કોનો વિનાશકારી સાબીત થાય છે.

સામ્યવાદી અર્થકારણ અને રાજકારણ

સોવિએટ અર્થકારણે બજાર વ્યવસ્થાનો નાશ કર્યો. પંચવર્ષીય યોજનામાં દાખલ કરી જેમાં સરકારે જ અર્થકારણને લગતા નિર્ણયો લીધા. ખેતીના ક્ષેત્રનું સામૂહીકકરણ કર્યું. ખેડૂતોની જમીન ઝૂંટવી લીધી અને કલેક્ટીવ ફાર્મ્સ ઊભા કર્યા જેનું સરપ્લસ સરકારે ઝૂંટવી લઇને શહેરોને અનાજ પૂરૃ પાડવા માંડયું. ૧૯૧૭માં સામ્યવાદી બનેલું રશિયા ઈ.સ. ૧૯૩૯માં ૨૨ વર્ષ દરમિયાન એક ઔદ્યોગીક રાષ્ટ્ર બની ગયું. આને અંગ્રેજીમાં આપણે પેરેડાઇમીક પરિવર્તન કહી શકીએ. ત્રીજું તેણે આજુબાજુના અને પશ્ચિમના મૂડીવાદી દેશોથી બચવા એક મોટું યુધ્ધતંત્ર ઊભું કરી દીધું. માત્ર બાવીસ વર્ષ દરમિયાન જ સોવિએટ રશિયા એક ફ્યુડલ ઝારશાહી રાષ્ટ્રમાંથી અમેરિકાની ટક્કર લઇ શકે તેવું રાષ્ટ્ર બની ગયું. તેની સફળતાએ લોકોને આંજી નાખ્યા. ઈ.સ. ૧૯૩૯-૧૯૪૫ના બીજા વિશ્વયુધ્ધમાં રશિયન લશ્કરે હીટલરના સૈન્યને હરાવી દીધું. નાઝીવાદને દૂર કરવામાં રશિયાનો મોટો ફાળો છે. આમ છતાં તેની નિષ્ફળતાને લીધે ઈ.સ. ૧૯૯૧માં માત્ર ૭૪ જ વર્ષમાં (૧૯૧૭-૧૯૯૧) તે અસ્ત પામ્યું. ૧૯૯૧માં તેનું વિઘટન થતા તેમાંથી ૧૫ રાજ્યો છૂટા પડી ગયા. આમ કેમ થયું ? તેના પણ કારણો છે પરંતુ તેનું અગત્યનું કારણ લોકશાહીનો તદ્દન અભાવ ગણી શકાય. સ્ટાલીન અને ક્રુશ્ચેવ બન્ને ક્રૂર રાજ્યકર્તાઓ સાબિત થયા.

સ્ટાલીને અસંખ્ય ખેડૂતો (કુલાકમ) જે સામૂહીકરણનો વિરોધ કરતા હતા તેને મારી નાંખ્યા. બૌધ્ધિકોને જેલમાં પૂરી દીધા. ટ્રોટસ્કી જેવા વિરોધીઓના ખૂન કરાવ્યા. તેમનું અર્થકારણનું કેન્દ્રીય આયોજનવાળું મોડેલ તદ્દન નિષ્ફળ ગયું. સરકારી અમલદારોને ઉદ્યોગો ચલાવતા ક્યાંથી આવડે ? ચીજવસ્તુઓની પુષ્કળ અછત ઊભી થઇ. દુકાનો પર મોટી મોટી લાઇનો લાગવા માંડી. એક લાખ જોડી બુટ અને તેમાં બધા ડાબા પગના જ હોય, જમણા પગનું બુટ જ ના હોય. ટૂંકમાં સોવિયેટ યુનિયન જે શ્રમિકોની મુક્તિની વાત કરતું હતું અને સાચી લોકશાહીની વાત કરતું હતું તે શાહીવાદી બની ગયું. તેણે પોલેંડ, હંગેરી, યુગોસ્લાવીયા, પોલેંડ, આલ્બેનીયા વગેરે પૂર્વ યુરોપના દેશોને પોતાના ખંડિયા રાષ્ટ્રો બનાવી દીધા. આમ માત્ર મૂડીવાદ જ શાહીવાદ (ઈમ્પીરીઆલીઝમ)માં માને છે તેવું સમાજવાદીઓનું મહેણું તેને ભારે પડયું કારણકે તેઓએ જ પૂર્વ યુરોપના રાષ્ટ્રોના બળવાને ટેંકોથી કચડી નાખ્યા હતા. પોલેંડ અને હંગેરીમાં આમ બન્યું હતું.

લોકશાહીનો અભાવ અને ક્રૂર સરમુખત્યારશાહીને કારણે સોવિએટ રેશિયા ૧૯૯૧માં અદ્રશ્ય થઇ ગયું. ઈતિહાસનો એ ક્રૂર કટાક્ષ છે કે મૂડીવાદની રાખમાંથી સામ્યવાદ ઊભો થવાનો હતો તેને બદલે સામ્યવાદની રાખમાંથી અમેરિકન પ્રકારનો આક્રમક મૂડીવાદ પેદા થયો. આજે ક્યુબા, વિએટનામ કે ઉત્તર કોરિયા સિવાય જગતમાં કોઇ શુધ્ધ સામ્યવાદી દેશ નથી. ચીનમાં સરકાર સામ્યવાદી છે પણ અર્થકારણમાં મૂડીવાદ અને સરકારી સાહસોનું મિશ્રણ છે. ચીનના વિકાસનો એક આધાર ત્યાં વિદેશી મૂડી અને પશ્ચિમ જગતનું બહુરાષ્ટ્રીય કંપનીઓની હાજરી છે. રશિયન ફેડરેશનમાં પુટીન સર્વસત્તાધીશ બની બેઠા છે. તેઓ ચૂંટણીમાં નંબર એક આવવાની કળામાં નિષ્ણાત છે. અત્યારે ૧૦૦ ટકા સામ્યવાદી દેશ ઉત્તર કોરિયા છે જેના વડા તેમની છોકરમતને કારણે જગત અણુયુધ્ધમાં સરકી પડે તેમ છે. તે પોતાને સામ્યવાદનું રક્ષણ કરતો જેમ્સ બોંડ માને છે તેવું તેના વર્તન પરથી લાગે છે. જેમ્સ બોંડ કોલ્ડવૉરનો હીરો હતો.

મૂડીવાદ - નવ ઉદારમતવાદ

મૂડીવાદી સમાજે ફયુડલ રાજ્યવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા ખતમ કરી. તે ફ્યુડાલીઝમની રાખમાંથી ઊભો થયો હતો. ઔદ્યોગીક મૂડીવાદનો જન્મ વ્યાપારી ક્રાંતિ (કોમર્શિઅલ રીવોલ્યુશનમાંથી થયો. ઈ.સ. ૧૪૯૦ પછી નવા દરીયાઇ રસ્તાઓ યુરોપે ખોળી કાઢ્યા (ભારતે કેમ ના ખોળ્યા ?ઃ તેમાંથી મોટી વ્યાપારી ક્રાંતિ સર્જાઇ અને તેણે ઔદ્યોગીક ક્રાંતિ શરૃ થઇ. તેણે મૂડીવાદને જન્મ આપ્યો. મૂડીવાદ એ નવી ટેકનોલોજીમાંથી ઊભો થયેલો સમાજ છે. તે સમુદાયને નહીં પણ વ્યક્તિને કેન્દ્રમાં રાખે છે. મૂડીવાદે માનવસંબંધોનું વ્યાપારીકરણ કર્યું છે.

તેથી તેણે માનવીય સંબંધોનું નિર્માનવીકરણ (ડીહ્યુમેનાઝેશન) કર્યું છે. તેણે શાહીવાદ ઊભો કરી જગતના મોટાભાગના દેશોને ગુલામ બનાવ્યા અને આ દેશોના કાચા માલ અને મજૂરોનું શોષણ કર્યું. શાહીવાદી પ્રથા દ્વારા તેણે જગતની લગભગ બે તૃતીયાંશ વસતીને ગુલામ બનાવી દીધી. ભારતને પણ ગુલામ બનાવી દીધું. તેણે જગતના બજારો કબજે કર્યા.

પોતાને ત્યાં અર્નગળ સંપત્તી ઊભી કરી. તેણે વારંવાર આર્થિક કટોકટી સર્જી. દા.ત. ૧૯૩૦ની અમેરિકન મહામંદીએ જગતના એક દેશોમાં સુનામી જેવી તબાહી સર્જી. તેણે ભયાનક સામાજીક તેમજ આર્થિક અસમાનતા ઊભી કરી છે. અમેરિકા પોતે એમ કહે છે કે એક વખતે અમે જ ઈંગ્લેન્ડના ગુલામ હતા. અમે વસાહતવાદ (કોલોનીઆલીઝમ)ની વિરૃધ્ધ છીએ પણ અમેરિકાનો વસાહતવાદ જુદા પ્રકારનો છે. તે વિદેશમાં પોતાના થાણાં નાંખીને કઠપૂતળી સરકારો ઊભી કરે છે. પોતાના હિત ખાતર તે રાજાશાહી સરકાર (દા.ત. સાઉદી અરેબીયા) અને સરમુખત્યારોને પણ ટેકો આપે છે.

આ અપરોક્ષ શાહીવાદ છે. જેમાં અન્ય દેશોને ગુલામ બનાવવાની જરૃર નથી, પણ પોતાના દેશની જંગી બહુરાષ્ટ્રીય કંપનીઓને અન્ય દેશોમાં ખુલ્લી રીતે વ્યાપાર કરવાની છૂટ અપાવવાની છે. અમેરિકા ગુલામ દેશોને પેદા કરતું નથી પણ 'ક્લાયન્ટ' (ખંડિયા) દેશોને ઊભા કરે છે. પરંતુ તેણે બે બાબતમાં કમાલ કરી છે (૧) તે લોકશાહીને વળગી રહ્યું છે અને ત્યાં વ્યક્તિસ્વાતંત્ર્ય ઘણું છે. (૨) નવી ટેકનોલોજી ખોળવામાં અને વૈજ્ઞાાનિક શોધખોળમાં તેણે કમાલ કરી છે. (૩) સ્ત્રીસ્વાતંત્ર્યમાં તે નંબર એક છે. જોકે સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીસ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા પાતળી છે.

વેલફેર સ્ટેટસ-સોશીઅલ ડેમોક્રસી

સમાજવાદ શબ્દનો અર્થ લપટો પડી ગયો છે. અત્યારે જગતનાં આદેશ રાજ્યો ઉત્તર યુરોપના સ્કેન્ડેવીઅન દેશો ગણાય છે જેમને સમાજવાદી નહીં પણ કલ્યાણ રાજ્યો (સોશીઅલ ડેમોક્રસી) ગણવામાં આવે છે. અહીં મિશ્ર અર્થકારણ છે. વસતી ઓછી છે.અહીનું અર્થકારણ મુખ્યત્વે ખાનગી અને જાહેરનું મિશ્રણ છે. સ્ત્રી સ્વતંત્ર્યનો આંક બહુ ઊંચો છે. રાજ્ય નાગરિકોની જ ઘોડીયાથી કબર (ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવ) સુધી કાળજી રાખે છે. વડાપ્રધાનો સાયકલો પર ફરતા જોવા મળે છે અને બસલાઇનમાં પણ ઊભા રહે છે. અમેરિકાનો આક્રમક મૂડીવાદ - બજારવાદ અહીં નથી. સામ્યવાદ નિષ્ફળ ગયો છે. નકરો બજારવાદ શોષણખોર છે. ગાંધીવાદ-સર્વોદયવાદના મૂળો આધ્યાત્મિક-ધાર્મિક છે અને તે વ્યક્તિના સુધારા (૧૧ વ્રતો) પર ભાર મૂકે છે. વ્રતો જડ હોય છે તે સર્જનશીલતા ઘટાડી દે છે. વ્રતોનું જીવન અહંકેન્દ્રી છે અને સ્વકલ્યાણ કેન્દ્રી છે.

ન્યુટને અને આઇનસ્ટાઇને અને બીલ ગેટ્સે વ્રતો ન હતા કર્યા. અત્યારે જગતનું મુખ્ય કાર્ય આતંકવાદનો નાશ કરવાનું છે અને લોકશાહીને ગીીૅીિ અને ુૈગીહ કરવાનું છે. યાદ રહે કે અત્યારે જગતના રાજકારણમાં સર્વત્ર જમણેરી (રીએકશનરી) મોજુ ફરી વળ્યું છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment